Tuesday, 1 March 2011


ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે
ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે
નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે
મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે
ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે
દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

- નરસિંહ મહેતા

No comments:

Post a Comment