|
દાદીની પ્રસાદી-૧ જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે. આ પ્રસાદીને બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. અત્રે પ્રથમ ભાગ રજૂ કરાયો છે. પ્રથમ ભાગમાં પ્રાર્થનાઓ તથા ‘અ’ થી ‘અઃ’ સુધી અને ‘ક’ થી ‘ધ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી છે. જ્યારે બીજા વિભાગમાં ‘ન’ થી ’જ્ઞ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી અપાઈ છે. બીજા વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ
2. (બૃહદારણ્યક ઉપનિષદ) 3. [અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા 4. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃ્ત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા]
[ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો શ્લોક છે. તેનો શબ્દાર્થ છેઃ તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.]
[આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છેઃ હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તું સ્વયં પ્રકાશિત છે, સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.]
8. રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી 9. કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી 10. હો મેઘા તેજસ્વી અમારી એટલું પ્રભુ આપજો 11. ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો
13. [તમે છો માતા પિતા તમે છો 14. તમે છો બંધુ સખા તમે છો 15. તમે છો વિદ્યા વળી ધન સંપત્તિ 16. પણ સર્વ મારું તમે હે દેવ દેવ]
[જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે, અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે. હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.]
સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને]
[હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો.]
[ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છેઃ શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો]
22. 23. [સર્વે બની રહો સુખી 24. સર્વે બની રહો સ્વસ્થ 25. મળે શુભદ્રષ્ટિ સર્વને 26. ન દુઃખ ભોગવે કોઈ]
28. [વંદુ તુજને મા હો વંદુ તુજને મા 29. વંદુ તુજને મા હો વંદુ તુજને મા 30. 31. છો સભર તું જળથી ફળથી 32. દખણાદી શીત વાયુ લહરથી 33. પાકેલા લહેરાતા ધાન્ય થકી 34. સુરત તુજ બની સુંદર શામળી 35. 36. વંદુ તુજને મા હો વંદુ તુજને મા 37. વંદુ તુજને મા હો વંદુ તુજને મા 38. 39. શુભ્ર ચન્દ્ર કિરણથી ઓપતી 40. ખુશહાલ છે સૌ રાત્રિ તારી 41. પુષ્પ ને વૃક્ષોથી લચી રહેલી 42. શોભે છે કણ કણ ભૂમિ તારી 43. 44. મલકાતું મોં વદતું મીઠી વાણી 45. ને વરસાવે સદા સુખ વરદાન 46. વંદુ તુજને મા હો વંદુ તુજને મા 47. વંદુ તુજને મા હો વંદુ તુજને મા] અ
[આળસુ માણસને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા વિનાના માણસને ધન ક્યાંથી મળે? નિર્ધન માણસને મિત્ર ક્યાંથી મળે અને મિત્ર વિનાના માણસને સુખ ક્યાંથી મળે?]
[અગ્નિ, દેવું અને શત્રુ એ ત્રણનો જરાક અંશ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે માટે તેના અંશને પણ બાકી રહેવા ન દેવાય.]
[પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.]
[ડાહ્યા માણસોએ જ્યારે જ્ઞાન કે ધન મેળવવાની વાત આવે ત્યારે પોતે અજરઅમર રહેવાના છે એવું વિચારીને વણથંભી સાધના કરવી જોઈએ અને જ્યારે ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યારે મોત ખંભા પર બેસી વાળ ખેંચી રહ્યું છે એમ માનીને તરત ધર્મનું આચરણ કરવું જોઈએ.]
[ભગવદ્ ગીતામાં ભગવાનનો આ ઉપદેશ છેઃ જે અજ્ઞાની છે અશ્રદ્ધાળુ છે અને દરેક વાતમાં શંકા કરે છે તેમનો નાશ થાય છે. શંકાશીલ માણસો માટે આ લોકમાં કે પરલોકમાં કોઈ સુખ નથી.]
[ન અતિ તૃષ્ણા કરવી કે ન તૃષ્ણાનો સમૂળગો ત્યાગ કરવો. જાતે કમાયેલી સંપત્તિનો ધીમે ધીમે ઉપભોગ કરવો.]
[અતિ દાનથી કર્ણ પાસે કંઈ ન રહ્યું. અતિ લોભથી સુયોધનની અવદશા થઈ. અતિ ઇચ્છાથી પતન થાય છે માટે કોઈ પણ બાબતમાં અતિશયતાને તજવી. ]
[અતિ પરિચયથી અવજ્ઞા થાય. કોઈને ત્યાં સતત જઈએ તો આવકાર ન મળે. મલય પર્વત પર રહેતી ભીલડીઓ ચંદનને પણ ઈંધણનું લાકડું ગણી ચૂલામાં બાળે છે.]
[કોઈને માટે આપણો વધુ પડતો પ્રેમ આપણાં મનમાં આપણા તે પ્રિય પાત્રની સલામતી માટે ખોટી શંકા પેદા કરે છે. અભિજ્ઞાન શાકુંતલમ્નું આ વાક્ય છે.]
[સ્તુતિ નામની કન્યા બિચારી હજુ કુંવારી છે કેમ કે સારા માણસોને એ ગમતી નથી તો જે સારા નથી તે એને ગમતા નથી !]
[મન, વચન અને કર્મથી કોઈ જીવનો દ્રોહ ન કરવો, પ્રેમ રાખવો અને ઉદારતાથી દાન આપવું એ સનાતન ધર્મ છે.]
[નિમ્ન કક્ષાના માણસો ધનની ઇચ્છા રાખે છે. મધ્યમ કક્ષાના માણસો ધન અને માન બન્નેની ઇચ્છા રાખે છે. પણ ઉત્તમ માણસોની ઇચ્છા ફક્ત માન મેળવવાની હોય છે કેમકે માન સૌથી ચડિયાતું ધન છે.]
[અભ્યાસ ન કર્યે વિદ્યા વિષ સમાન બને છે, જ્યારે પાચન ન થતું હોય ત્યારે ભોજન ઝેર બને છે. સંપત્તિ વિહોણા માટે સભા એટલે કે જાહેરમાં જવું ઝેર જેવું બને છે તો વૃદ્ધો માટે યુવાન સ્ત્રી વિષની ગરજ સારે છે !]
[મનના તિમિરને મીટાવવા શબ્દોનો બોધ કંઈ કામમાં આવતો નથી. જેમ દીવો, દીવો એવો શબ્દજાપ કરતાં રહીએ તો અંધારું થોડું દૂર થાય છે ?]
[અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ મોટી વાત છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે.]
[અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થમાં જઈ ધોઈ શકાય છે. પણ તીર્થક્ષેત્રમાં જો પાપ કરીએ તો તે વજ્રલેપ બની જાય છે.]
[કુહાડીથી પ્રહાર થવા છતાં મલય પર્વત પર ઊગતા ચંદનના વૃક્ષમાંથી જેમ નકામો પદાર્થ બહાર આવતો નથી તેમ અપમાન થવા છતાં કુળવાન માણસો પોતાનું સૌજન્ય છોડી જેમ તેમ બોલતા નથી.]
[કાલિદાસ કૃત કુમારસંભવમ્ સર્ગ-૫-૩૩. યજ્ઞ કરવા માટે સમીધના ટૂકડાં અને કુશ ઘાસ સહેલાઈથી મળે છે ? સ્નાન માટે પાણી યોગ્ય છે ? તમે તમારી શક્તિ અનુસાર તપ કરો છો ? શરીર ધર્મ કરવા માટેનું સાધન છે.]
[હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ તે મને ગમતી નથી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. વાલ્મિકી રામાયણમાં લંકા વિજય પછી લંકાનું રાજ સ્વીકારવાની ના પાડતા રામ આ વાક્ય કહે છે.]
[હે દેવી સરસ્વતી, તારો ખજાનો ખરેખર અનોખો છે. જો તે વાપરીએ તો વધતો રહે છે અને જો તે સાચવીને રાખી મૂકીએ તો તેમાં ઘટાડો થાચ છે. જ્ઞાનનું એવું છે કે તે જેમ ઉપયોગમાં લેવાય તેમ વધે અને ઉપયોગ કર્યા વિના પડ્યું રહે તો કટાઈ જાય.]
[આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]
[હે વિધાતા, અરસિક માણસો પાસે કવિતા પ્રસ્તુત કરવાનું મારા કપાળે ન લખ, ન લખ, ન લખ. કાલિદાસે કોઈક વખત કંટાળીને આવી પ્રભુપ્રાર્થના કરી હોવાનું મનાય છે.]
[જેમને પૈસા કમાવાની આતુરતા હોય તેને ન તો ગુરુ દેખાય, ન ભાઈ દેખાય. જેને કામેચ્છા જાગે તેને ન કોઈનો ડર લાગે, ન કોઈની શરમ નડે. જેને વિદ્યા પ્રાપ્તિની તડપ જાગે તેના જીવને ન શાંતિ હોય, ન ઊંઘ આવે. જેને ભૂખ લાગે તે ન રૂચિ જૂએ કે ન શું સમય થયો છે તે જૂએ.]
[ઓછું કામ કરવાવાળા બહુ બોલ બોલ કરતા થઈ જાય. શરદ ઋતુમાં મેઘરાજા વરસે ઓછું ને ગરજે વધુ.]
[નાની નાની બાબતનું ધ્યાન રાખી તેને સુવ્યવસ્થિત બનાવીને કામમાં સફળતા મેળવી શકાય છે. નાના નાના દોરાને ગૂંથી તેનું એવું મજબૂત દોરડું બનાવી શકાય કે જે મદમસ્ત હાથીને પણ બંધનમાં જકડી શકે.]
[ભગવત ગીતાનો આ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે જેની ચિંતા કરવા જેવું નથી તેની તું ચિંતા કરે છે, બુદ્ધિશાળી માણસો જેવું બોલે છે પણ જે જ્ઞાની હોય તે કદી ભૂતકાળની કે ભવિષ્યકાળની ચિંતા કરી વ્યાકુળ થતા નથી.]
[આ અસાર સંસારમાં સાચો સાર શ્વસુરના ઘરમાં છે ! એટલે તો ભગવાન શંકર હિમાલયમાં જઈને રહે છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને રહે છે !]
[બલિદાન કોનું દેવાય ? ઘોડાનું ? કદી નહિ. હાથીનું ? કદી નહિ. વાઘનું ? ના ભાઈ ક્યારેય નહિ. બલિદાન તો બકરીના બચ્ચાંનું જ દેવાય ! દેવ પણ નબળાંનો ભોગ લે છે !]
[આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે અશ્વસ્થામા, બલી રાજા, વ્યાસ મુનિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાતને અમરત્વનું વરદાન મળેલું છે.]
[ઘોડાનું ભૂષણ વેગ છે, હાથીનું ભૂષણ મદ છે. ચતુરાઈ એ નારીનું ભૂષણ છે તો જહેમત નરનું ભૂષણ છે.]
[અઢાર પુરાણનો સાર વ્યાસ મુનિના બે વચનોમાં સમાઈ જાય છેઃ પરોપકાર કરવો એ પુણ્ય છે અને પરપીડન કરવું એ પાપ છે.]
[મહાભારતના વનપર્વમાં આવતા યક્ષ યુધિષ્ઠિર સંવાદનો આ શ્લોક છેઃ અન્ય માણસો એક પછી એક મૃત્યુ પામે છે તેવું જોવા છતાં બાકીના માણસો પોતે જાણે કાયમ જીવતા રહેવાના છે એવી અપેક્ષા સાથે શાંતિથી જીવે છે તેનાથી વધુ મોટું આશ્ચર્ય જગતમાં શું હોઈ શકે ?]
[અનહલક. હું ઈશ્વર છું.]
[અહિંસા સૌથી મોટો ધર્મ છે.]
[ખોટા માણસોની સાથે રહેવાથી ડગલે ને પગલે માર ખાવો પડે છે. સોનું પણ આગ અને લોખંડ જેવા પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેની ઉપર હથોડીથી ધડાધડ પ્રહારો પડવા શરૂ થઈ જાય છે] આ
[ઋગ્વેદનો મંત્રઃ બધી બાજુએથી કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ.]
[હોંશિયાર માણસોને બાહ્ય આકાર જોઈને અંદર શું હશે તે તેની ખબર પડી જાય છે. ભમરો સુગંધ પરથી જ કેતકી પુષ્પની કળીને પારખી લે છે. ]
[આકાશમાંથી કોઈ પણ નદીમાં પડતું પાણી વહીને જેમ સાગરમાં મળી જાય છે તેમ કોઈ પણ દેવીદેવતાને કરેલું વંદન એક માત્ર ઈશ્વરને પહોંચે છે.]
[સંકટના સમયે, દુષ્કાળમાં, શત્રુની ઉપાધિમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી બાજુમાં ઊભો રહે તે જ સાચો સગો છે.]
[ભગવદ્ ગીતાનું કથન છેઃ જે આપણા માટે પ્રતિકૂળ હોય એટલે કે જે આપણને અનુકૂળ ન હોય તેવું આચરણ બીજા સાથે કરવું ન જોઈએ ]
[મૌનથી બધા હેતુ સરે છે. બોલ બોલ કરવાના પોતાના વાંકે પોપટ તથા મેનાને પાજરામાં પૂરાવું પડે છે જ્યારે મૌન રહેતા બગલાને કોઈ બંધન સહન કરવું પડતું નથી.]
[આપણે જ આપણા ગુરુ છીએ કેમકે આપણે જ આપણને શીખવતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અનુભવ અને અનુમાનથી વધુ સારુ શું છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે.]
[પંચતંત્રની એક વાર્તાનો સારાંશ છેઃ જે માણસ પોતાનો પક્ષ છોડી બીજાના પક્ષમાં રચ્યોપચ્યો રહે તે મૂર્ખ નીલરંગી શિયાળની માફક માર્યો જાય છે.]
[ભગવદ્ ગીતામાં ભગવાનનું કથનઃ જેવો હું છું તેવા જ આ જગતના સર્વે જીવ છે એવું જેને ભાન થાય તે પંડિત કહેવાય.]
[લાંબા લચક રામાયણને ટૂંકમાં પતાવવું છે ? તો સાંભળો. પહેલા રામ તપોવનમાં ગયા, સોનાના હરણ પાછળ દોડ્યા, સીતાનું હરણ થયું, જટાયુનું મરણ થયુ, સુગ્રીવ સાથે વાતો થઈ, વાલી માર્યો ગયો, સમુદ્રનું તરણ થયું, લંકાનું દહન થયું, રાવણ, કુંભકર્ણનું હનન થયું. બસ રામાયણ પૂરું થયું.]
[દુઃખી માણસ દેવને પગે લાગે છે. રોગી માણસ તપ કરે છે. નિર્ધન માણસ દાનને ઝંખે છે. વૃદ્ધ નારી પતિવ્રતા બને છે !]
[આળસ એ માણસના શરીરમાં રહેલો તેનો મોટો શત્રુ છે. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરનારો કદી નાશ પામતો નથી.]
[આશા નામનું મનુષ્યનું બંધન ભારે અદ્દભુત બંધન છે. આ બંધનથી બંધાયેલો માણસ દોડવા લાગે છે તો આ બંધનથી મુક્ત થયેલ માણસ અપંગની જેમ સ્થિર થઈ જાય છે !]
[મહાભારતનો શ્લોક છેઃ જે માણસ કામ કર્યા વિના બેઠો રહે તેનું નસીબ બેઠેલું રહે છે. જે ઊભો ઊભો વિચાર કર્યા કરે છે તેનું નસીબ પણ ઊભું જ રહી જાય છે. જે માણસ ઊંઘી જાય તેનું નસીબ ઊંઘી જાય છે પણ જે ચાલતો જ રહે તેનું નસીબ ચાલવા લાગે છે.]
[આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુંમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.] ઇ-ઈ
[અહી જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.]
[જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.]
[ ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુંએ અણુંમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.] ઉ-ઊ
[નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.]
[કઠોપનિષદ અધ્યાય-૧ વલ્લી-૩નો શ્લોકઃ ઊઠો જાગો તમારાથી ચડિયાતા જાણકારો પાસેથી જ્ઞાન મેળવો. કવિઓ (એટલે કે વિદ્વાનો) કહે છે કે જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છરીની ધાર પર ચાલવા જેવો આકરો છે.]
[ગરીબ માણસને મનમાં ઇચ્છાઓ જાગતી રહે ને ભૂલાતી રહે. તેનું પરિણામ કંઈ ન આવે.]
[કાલિદાસનું કથનઃ બધા માણસોને તહેવાર માણવા ગમે છે.]
[ઉત્સાહમાં ખૂબ બળ હોય છે. ઉત્સાહથી વધુ મોટું બળ કોઈ નથી. એટલે ઉત્સાહી માણસો માટે કોઈ કામ અઘરું નથી.]
[ઊગતો સૂરજ લાલ રંગનો હોય છે, આથમતો સૂરજ પણ લાલ રંગનો જ હોય છે. સજ્જન માણસના રંગ ઢંગ સુખમાં કે દુઃખમાં સરખા જ રહે છે.]
[ઉદાર માણસને ધનનું મહત્વ તણખલા જેટલુ હોય છે, શૂરવીર માણસને મોત તણખલા જેટલું તુચ્છ લાગે છે, સંસારમાં રસ ન હોય તેવા માણસને પત્નીની કોઈ કીમત હોતી નથી તો જે નિસ્પૃહી માણસ છે તેને આખું જગત તણખલા જેવું નકામું લાગે છે.]
[ભગવદ્ ગીતાનો ઉપદેશઃ આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ કરવો જોઈએ. આત્માની કદી અવનતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.]
[જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ એ છ બાબત હોય ત્યાં પ્રભુની બધી મદદ મળી રહે છે.]
[માત્ર મનના ઘોડા દોડાવ્યે નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.]
[મહેનત કરતા હોય તેવા પરાક્રમી પુરુષ પાસે જ લક્ષ્મી આવે છે.]
[શત્રુની મદદ લઈને શત્રુનો નાશ કરવો જોઈએ. પગમાં કાંટો લાગે તો બીજા કાંટાનો ઉપયોગ કરી કાઢી નખાય.]
[અધમ માણસ પર ઉપકાર કરો તો તેના બદલે અપકાર જ મળે. સાપને દૂધ પીવડાવો તો તેનું ઝેર ઓર વધે.]
[ઉપમા કાલિદાસની વખણાય. શબ્દને અર્થગૌરવ અર્પવામાં ભારવિ બેજોડ છે. પદલાલિત્ય તો દણ્ડિ જેવું કોઈનું ન થાય. પણ માઘની કૃતિઓમાં આ ત્રણે વિશિષ્ટતા જોવા મળે છે.]
[ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાય છે અને બન્ને એક બીજાના વખાણ કરે કે વાહ શું તારું રૂપ છે ને વાહ શું તારો કંઠ છે !] એ-ઐ-ઓ-ઔ-અં-અઃ
[હે ચાતક, તું અમર રહે. તું બધા પક્ષીમાં શ્રેષ્ઠ છે કારણ કે તું એક જ એવું પક્ષી છે જે તરસ લાગે ત્યારે માત્ર ઈન્દ્રદેવતા પાસે યાચના કરે છે અથવા મોત વહાલું કરે છે. (ચાતક માત્ર આકાશમાંથી પડતું પાણી પીએ છે. એ સિવાય અન્ય પાણી નહિ એવી દંતકથા છે.)]
[‘અલ્લાહો અકબર’નો પૈગામ આ જગતને મળ્યો તેના સેંકડો વર્ષ અગાઉ ઉપનિષદમાં એ જ વાત ઘણી વખત કહેવાઈ ગઈ છે. એક જ સત્ય એટલે કે એક જ ઈશ્વર છે. ફક્ત વિદ્વાનો તેને જુદા જુદા નામ આપે છે. અગ્નિ, યમ, માતરિશ્વા, વાયુ એ બધું અતે તો એકનું એક જ છે.]
[એક સુંદર પુષ્પ આખા ઝાડને સુગંધથી મઘમઘતું કરી દે છે. એવી જ રીતે એક સુપુત્રથી આખા કુટુમ્બનું નામ રોશન થઈ જાય છે.]
[હું એક છું પણ અનેક રૂપ ધારણ કરું છું.]
[જગતગુરુ શંકરાચાર્યનો ઉપદેશઃ વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના ટેકે ચાલવું પડે છે છતાં આશાઓના બંધન હજી છૂટતા નથી.] ક
[લગ્નની પસંદગીમાં કન્યા રૂપને, માતા સંપત્તિને, પિતા શિક્ષણને અને ભાઈઓ કુળને મહત્વ આપે છે. બાકીના બધાને તો મિષ્ટાનમાં શું ખાવા મળશે એ વાતમાં જ રસ હોય છે.]
[કરના ઉપરના ભાગમાં લક્ષ્મી વસે છે, કરના વચ્ચેના ભાગમાં સરસ્વતી રહે છે તો કરના નીચેના ભાગમાં કૃષ્ણનો વાસ છે માટે સવારે ઊઠીને સૌથી પહેલા કરના દર્શન કરવા જોઈએ. લક્ષ્મીની ગણતરી આંગળી વડે કરાય એટલે લક્ષ્મી કરાગ્રે રહે છે, કલમ બે આંગળી અને અંગુઠા વચ્ચે પકડવી પડે એટલે સરસ્વતીનો નિવાસ કરમધ્યે લેખાય અને કરની બધી હિલચાલનો આધાર કાંડા પર રહે છે એટલે જગતનો નાથ કરમૂલમાં રહે છે એવું અર્થઘટન પણ કરવામાં આવે છે. અપના હાથ જગન્નાથ અર્થાત્ ‘આપણો હાથ જ આપણો ભગવાન છે’ એ કહેવત જેવો જ ધ્વનિ આ શ્લોકમાંથી ઉપસે છે.]
[કોઈ કામ ભલે સારું હોય કે ખરાબ પણ તે કામ કરનાર, તે કામ કરાવનાર, તે કામની પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર એ ચારે જણ તે કામના સરખા ભાગીદાર ગણાય.]
[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશઃ તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારે ય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ.]
[કાલિદાસના મેઘદૂત કાવ્યમાં આ તત્વજ્ઞાન પીરસાયું છેઃ કોને જીવનમાં સતત સુખ મળે કે સતત દુઃખ મળે છે ? ચક્રાકારે ફરતી વસ્તુમાં જેમ ઉપરનો ભાગ નીચેના ભાગનું સ્થાન લે અને નીચેનો ભાગ ઉપરના ભાગનું સ્થાન લે તેમ સુખ અને દુઃખ એક બીજાના સ્થાને સતત આવતા જ રહે છે.]
[કાગડો કાળો હોય છે, કોયલ પણ કાળી હોય છે. બન્ને વચ્ચે ફરક શું છે ? વસંત ઋતુ આવે કાગડાનું કાગડાપણું અને કોયલનું કોયલપણું આપમેળે પરખાઈ આવે છે.]
[સાચા વિદ્યાર્થીના આ પાંચ લક્ષણ છેઃ કાગડા જેવી ચકોર નજર, બગલા જેવું પાકું ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, ઓછો આહાર અને ઘરની માયાનો ત્યાગ.]
[કાગડાની ચાંચમાં દાંત કેટલા છે ? દેડકાએ ઈંડા કેટલા મૂક્યા છે ? ગધેડાના શરીર પર વાળ કેટલા છે ? એવી તદ્દન વ્યર્થ ગણતરીઓ કર્યા કરવાનો કોઈ મતલબ નથી.]
[પ્રિય વ્યક્તિનો વિયોગ, સ્વજન પાસેથી મળેલું અપમાન, ચૂકવવું બાકી રહેતું દેવું, ખરાબ માલિકની નોકરી અને ગરીબાઈના કારણે મિત્ર ખોઈ બેસવો એ પાંચ વસ્તુ એવી છે કે જે તમને અગ્નિ વિના સતત બાળતી રહે.]
[પૂછવું કોને ? દેવ બધા સ્વર્ગમાં છે અને અમે ધરતી પર. અમારે માત્ર એટલું જાણવું છે કે વધુ સ્વાદમય શું છે ? કાવ્યરસ કે અમૃત ?]
[જ્યાં સુધી ધારેલું કામ નીકળી ન જાય ત્યાં સુધી માણસ બીજાને ભજે છે. એક વખત નદી પાર ઉતરી ગયા પછી હોડકું શું કામ આવે ?]
[મહત્વના કામમાં મદદનીશ, ઘરના કામમાં નોકરાણી, ભોજન કરાવવામાં માતા, સહશયનમાં અપ્સરા, ધર્મની બાબતમાં સહધર્મિણી અને ધરતી જેટલી ક્ષમાશીલ આ છ ગુણ ધરાવતી પત્ની મળવી દુર્લભ છે.]
[જે માણસ સમય આવ્યે મૃદુ બની શકે અને સમય આવ્યે આકરો બની શકે તે જ આ લોકમાં સુખી થઈ શકે.]
[સૂચિત અર્થઃ તમે જે કંઈ છો તે સંજોગોને કારણે છો કે તમારી આજુબાજુ જે સંજોગો છે તે તમારે કારણે છે એવી કોઈ શંકા મનમાં રાખશો નહિ. તમારા સંજોગો તમારા કારણે જ છે. તમે જ તેના સ્વામી છો. સમયના કારણે રાજા નથી રાજાના કારણે સમય છે.]
[બુદ્ધિમાન માણસનો સમય કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્રની ચર્ચામાં પસાર થાય છે. જ્યારે મૂર્ખ માણસ વ્યસનના સેવનમાં, ઊંઘવામાં કે ઝગડા કરવામાં પોતાનો સમય વેડફે છે.]
[બધા કાવ્યોમાં નાટક સૌથી સરસ ગણાય, બધા નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ્ નાટક વધુ સરસ છે. શાકુંતલમ્માં તેનો ચોથો અંક સૌથી સરસ છે અને ચોથા અંકમાં તેના ચાર શ્લોક સૌથી સરસ છે.]
[કપડાંથી શું થાય એ વિચારવા જેવી વાત છે. યોગ્યતા માપવાનું સૌથી મહત્વું સાધન કપડા છે. વિષ્ણુનું સુંદર પીતામ્બર જોઈ રત્નાકરે પોતાની પુત્રી તેને આપી જ્યારે દિગમ્બર શિવજીને જોઈને ઝેરનો કટોરો ધર્યો !]
[જેમની પાસે બુદ્ધિ છે તેમના માટે કશું અશક્ય નથી. જેમનો નિશ્ચય દ્રઢ છે તેમના માટે કશું અસાધ્ય નથી. જેમની વાણી મીઠી છે તેઓ કોઈ પણ કામ કરાવી શકે છે. જેઓ ઉદ્યમશીલ છે તેમના માટે કોઈ વસ્તુ અલભ્ય નથી.]
[મનુસ્મૃતિ અનુસાર કુળના ભલા માટે એકાદ વ્યક્તિને ત્યજવી, ગામના ભલા માટે કુળને ત્યજવું, જનપદ એટલે કે મોટા વિસ્તારના ભલા માટે ગામને ત્યજવું અને આત્માના ઉદ્ધાર માટે સમગ્ર પૃથ્વી ત્યજવી ઈચ્છનીય છે.]
[પુષ્પ રંગમાં ભલે ગમે તેટલું સારું હોય પણ સુગંધ વિનાનું હોય તો તે શોભે નહિ. તે જ રીતે જેને અમલમાં ન મૂકવાના હોય તેવા મીઠા વચનો શોભતા નથી.]
[જે કામ થઈ ગયું તે થઈ ગયું. તે કામ નથી થયું એવું થઈ શકતું નથી. જેમકે કોઈનું મરણ થઈ જાય તે થઈ જાય. તેને પાછું પલટાવી શકાય નહિ. એટલે જ વેદના જાણકારોનો મત છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો ન જોઈએ.]
[કૃપણ જેટલો મોટો દાનવીર આ જગતમાં થયો નથી અને થશે નહિ કેમકે કૃપણ પોતાનું બધું ધન આખી જિંદગી સુધી હાથથી સ્પર્શ પણ કર્યા વિના સાચવી રાખીને બીજાને આપી દે છે.]
[માણસ શોભે શેનાથી ? હાથમાં પહેરેલા સુંદર બાજુબંધથી ? ગળામાં પહેરેલા ચંદ્રસમા ઊજળા હારથી ? સ્નાનથી મળતી સ્વચ્છતાથી ? દેહ પર લગાડેલા વિલેપનથી ? પુષ્પોથી ? વાળની સરસ ગૂંથણીથી ? હા, શોભાની આ બધી ચીજો જરૂર સારી લાગે છે પણ તેનાથી અનેકગણી ચડિયાતી શોભા તેના મુખમાંથી નીકળતી સંસ્કારી વાણીની છે. સંસ્કારપૂર્ણ વાણીની શોભા પાસે અન્ય બધી શોભા ઝાખી પડી જાય છે.]
[‘ખવડાવો’ તો કોણ તમારા વશમાં ન આવે ? મૃદંગના મોઢે લેપ કરો તો તેમાંથી પણ મધુર અવાજ આવવો શરૂ થઈ જાય છે.]
[તાકાતવર માણસને ભાર ઉપાડવો ભારે ન પડે. ધંધો કરતો હોય તેને કોઈ સ્થળ દૂર ન લાગે. જેની પાસે વિદ્યા હોય તેને દેશ કે પરદેશ સરખાં જ લાગે. જે સરસ મીઠી વાતો કરે તેને કોઈ પારકું ન રહે.]
[ભગવત ગીતાના આ શ્લોકમાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા સમજાવે છે કે ક્રોધથી ભાન ભૂલી જવાય છે. ભાન ભૂલેલા માણસને યાદ રાખવા જેવી વાતો યાદ આવતી નથી. આ વિસ્મૃતિને કારણે મગજ કામ કરતું નથી અને જેનું મગજ કામ ન કરે તેનું સાવ ધનોતપનોત નીકળી જાય છે.]
[અત્યારે સંજોગો કેવા છે, કોણ મારા મિત્રો છે, હું ક્યા વિસ્તારમાં રહું છું, મારી આવક અને ખર્ચ કેટલા છે, હું કોણ છું, અને મારી શક્તિ કેટલી છે - આ છ બાબતો દરેક માણસે ફરી ફરી જોતાં રહેવું જોઈએ.] ખ
[ જ્યાં સુધી ચંદ્રમા ઊગતો નથી ત્યાં સુધી આગિયો ચમકે છે. એક વખત સૂરજ ઊગે પછી ન તો ચંદ્રનો કોઈ ભાવ પૂછે કે ન તો આગિયાનો કોઈ પત્તો લાગે છે.]
[એવું ઘણી વખત બને છે કે કોઈ ખરાબ માણસ ખોટું કામ કરે પણ તેનું ખરાબ પરિણામ સારા માણસે વેઠવું પડે. દશ માથાવાળો રાવણ સીતાનું હરણ કરી ગયો પણ બંધન સમુદ્રને વેઠવાનો વારો આવ્યો.] ગ
[કર્મની ગતિ ગહન છે. સમજી શકાતી નથી.]
[ગુણવાન માણસોના સંસર્ગમાં રહેવાથી ઓછી લાયકાતવાળા માણસોને પણ ગૌરવ મળી જાય છે. પુષ્પમાળામાં રહેવાને કારણે સાધારણ દોરાને પણ ગળામાં માનભર્યું સ્થાન મળે છે.]
[ભવભૂતિકૃત ઉત્તરરામચરિતમાં આ કથન છેઃ ગુણવાન માણસોની પૂજા તેની વય કે લિંગના આધાર પર નહિ પણ તેના ગુણ જોઈને કરાય છે.]
[કોઈ પણ માણસની લાયકાત તે ક્યા સ્થાને બિરાજે છે તેના પરથી નહિ પણ તેના ગુણો કેવાં છે તે આધારે જ અંકાય. કોઈ કાગડો ઊડીને ઊંચા મહેલના શિખર પર બેસી જાય એટલે તે ગરુડ થોડો થઈ જાય ?] ઘ
[ઘરના વાસણ ફોડીને, પોતે પહેરેલા કપડાં ફાડીને, ગધેડા ઉપર સવારી કરીને કે એક યા બીજી કોઈ રીતે (પ્રસિદ્ધિ ભૂખ્યા) માણસો પ્રસિદ્ધિ મેળવે છે જ.]
[ચંદનને ગમે તેટલી વાર ઘસો પણ તે દરેક વખતે મનોહર સુગંધ જ આપશે. શેરડીમાં ગમે તેટલાં કાપા મૂકો પણ દરેક વખતે તેનો રસ મીઠો ને મીઠો જ રહેશે, સોનાને ચાહે તેટલી વાર તપાવો પણ તેનો સોનેરી રંગ ઝાંખો પડશે નહિ. જે ઉત્તમ પ્રકૃતિ ધરાવતા હોય તેઓ મરી જાય પણ કદી પોતાની ઉત્તમ પ્રકૃતિને ન છોડે.] ચ
[સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતા ચકડોળમાં જેમ જે નીચે હોય તે ઉપર આવે અને જે ઉપર હોય તે નીચે જાય તેવું જ સુખદુઃખનું છે. એ ચક્ર ચાલતું જ રહે છે.]
[ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહેવામાં જ કલ્યાણ છે. ચરૈવેતિ ચરૈવેતિ સૂત્રના મૂળ પાંચ સુંદર શ્લોક આ પ્રમાણે હોવાનું મનાય છેઃ १-ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम। पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥ २- पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः। शेरेऽस्यसवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥ ३- आस्ते भग आसीनस्य, ऊध्वर्स्तिष्ठति तिष्ठतः। शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥ ४- कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः। उत्तिष्ठँस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥ ५- चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्। सूयर्स्यपश्य श्रेमाणं योर्न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥ ]
[સંકટ આવે તે પહેલા જ તેનો ઈલાજ વિચારી રાખવો જોઈએ. આગ લાગે પછી કૂવો ખોદવા ન બેસાય.] છ
[ભર્તુહરિના નીતિશતકનો આ શ્લોક છેઃ વૃક્ષને કાપો તો તે ફરી ફરી વધે છે. ચંદ્ર ક્ષીણ થયા પછી પાછો વધતો જાય છે. આ બધી વાત યાદ રાખી સંત માણસો દુઃખમાં પણ સંતાપ પામતા નથી.] જ-ઝ
[સુંદર કૃતિઓ રચનારા, ઉરના ઊંડા ભાવને શબ્દમાં ઉતારી રસ સિદ્ધ કરનારા, કવિઓ પણ જેને ઉત્તમ ગણે એવા મહાકવિઓનો જય હો. તેમની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મરણનો કોઈ ભય નથી]
[ઘણી બાબતો તેના મૂળભૂત ગુણધર્મને કારણે આપમેળે વિસ્તાર પામે છે. જેમકે પાણીની ઉપર નાખેલું તેલ, દુષ્ટ માણસને કહેવામાં આવેલી ખાનગી વાત, સુપાત્રને આપેલું નાનું સરખું દાન, ડાહ્યા માણસને મળેલું જ્ઞાન આ બધું આપમેળે ફેલાયા કરે છે.]
[ભગવદ્ ગીતાનો ઉપદેશઃ જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમનું મરણ થાય તેનો ફરી જન્મ થાય છે. આ વાતને કોઈ માણસ કોઈ કાળે ટાળી શકે નહિ. આવી અનિવાર્ય બાબતનો હરખશોક રાખવો ન જોઈએ.]
[મહાભારતમાં દુર્યોધન દ્વારા બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય. એવું નથી કે ધર્મ શું છે, અધર્મ શું છે તેની મને ખબર નથી. પણ જાણવા છતાં હું ધર્મના માર્ગે કદમ મૂકી શકતો નથી અને અધર્મના માર્ગેથી પાછો હઠી શકતો નથી.]
[આ જગતમાં દરેક જીવનું જીવન બીજા જીવને આધારે જ ચાલે છે.]
[મહાનપણું જન્મથી મળતું નથી. ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે. ઘીનો જ દાખલો લો. ઘી સીધું બનતું નથી. દૂધનું દહીં, છાશ, માખણ થયા પછી છેવટે ઘી બને છે.] ટ-ઠ-ડ-ઢ-ણ ત-થ
[વિષ્ણુપુરાણનું આ કથન છે. ભાવાર્થ છે કે જે કર્મ મનુષ્યને (ભવના)બંધનમાં ન બાંધે તે સાચું કર્મ છે. જે વિદ્યા (ભવના) બંધનમાંથી મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે. બાકીના કર્મ તો માત્ર કષ્ટનું કારણ બને છે અને બાકીની વિદ્યા ફક્ત શોભાના ગાંઠીયા જેવી છે.]
169. (ઈશાવાસ્યોપનિષદ) 170. 171. [પ્રભુ છે ભમતા ને છતાં સ્થિર 172. અનંત અંતરે ને સાવ નજીક 173. વ્યાપ્યા છે કણેકણની ભીતર છતાં છે સર્વની બહાર સંપૂર્ણ]
[દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રનો સુંદર શ્લોકઃ હે સર્વનો ઉદ્ધાર કરનારી કલ્યાણકારી દેવી મારા બધા અપરાધની ક્ષમા આપજે કેમકે ક્યારેક પુત્ર કુપુત્ર બને છે પણ માતા કદી કુમાતા બનતી નથી.]
[પંચતંત્રમાં અપાયેલી સોનેરી સલાહઃ જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ ને એનાથી દૂર રહેવું જોઈએ પણ એક વખત ભય ઉપસ્થિત થાય કે તુરંત અચકાયા વિના તેના પર પ્રહાર કરવો જોઈએ.]
[ તે દિવસો ગયા જ. ભગવાન રામનો વિષાદયોગ વર્ણવવા ભવભૂતિએ રામના મુખમાં મૂકેલા શબ્દો. ઉત્તરરામચરિતનો આખો શ્લોક આ પ્રમાણે છે. जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे । मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥१२॥ હું પિતાજીના ચરણમાં જીવતો હતો, નવા નવા લગ્ન થયા હતા. મારી માતાઓની સંભાળ રાખતો હતો. તે દિવસો ગયા જ. ભવભૂતિની આ કૃતિ અનેક રીતે અદ્દભુત છે. ભગવાન રામ માટે ’ચંડાળ’ શબ્દ વાપરવાની હિમ્મત ભવભૂતિ જેવા કવિ જ કરી શકે. આ કૃતિમાં ભગવાન રામ સીતાત્યાગના પ્રસંગને પોતાના ‘ચાંડાલકર્મ’ તરીકે વર્ણવે છે. ]
[જ્યારે તમારી પાસે ધન ન હોય ત્યારે તમને તમારા મિત્ર, પુત્ર, પત્ની, નજીકના સગાવહાલા બધા છોડીને ચાલ્યા જાય છે. જો તમારી પાસે ધન આવે તો તેઓ તમારી પાસે પાછા આવે છે. આ જગતમાં તમારો સાચો સાથીદાર પૈસો જ છે.]
[આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યે સેંકડો વર્ષ પૂર્વે લખેલો જગતની કઠોર વાસ્તવિકતાનું નિરૂપણ કરતો આ શ્લોક આજે પણ એટલો જ આંખ ઉઘાડનારો છેઃ ભૂખના દુઃખની મારી જનેતાને ઘણી વખત પોતાનું સંતાન ત્યાગી દેવાની ફરજ પડે છે. ભૂખી થયેલી સાપણ પોતાના બચ્ચાઓને પણ ખાઈ જાય છે. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે ? જે માણસની શક્તિ સાવ ખલાસ થઈ જાય તે નિષ્ઠુર દયાવિહોણો થઈ જાય.]
[જેમાં દયાને સ્થાન ન હોય તેવો ધર્મ છોડી દેવો જોઈએ. જેની પાસે વિદ્યા ન હોય તેવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સદા ક્રોધ કરતી પત્નીને છોડવી જોઈએ અને આપણા માટે સ્નેહભાવ ન ધરાવતા ભાઈને વહેતો મૂકી દેવો જોઈએ.]
[સ્ત્રીના બાહ્ય વર્તનની પાછળ અને પુરુષના ભાગ્યની અંદર શું છૂપાયેલું છે તે દેવો પણ જાણી શકતા નથી તો સાધારણ માણસને તો ક્યાંથી ખબર પડે.] દ
[જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ થવાથી, જેનું બોલેલું સાંભળતા કે જેને કૈંક કહેવા જતાં તમારું હ્રદય ઓગળવા લાગે ત્યારે સમજવું કે તમને તેના માટે સ્નેહના અંકુર ફૂટી ગયા છે.]
[દાતા ગમે તેટલો નાનો હોય તો પણ માનને લાયક ગણાય. કૃપણ માણસ ગમે તેટલો સમૃદ્ધ હોય છતાં નકામો ગણાય. કુવો નાનો હોવા છતાં પીવા માટે મીઠું પાણી આપે છે. દરિયા પાસે ક્યારે ખૂટે નહિ તેટલો પાણીનો ભંડાર છે પણ તરસ્યાને તે ભંડાર શું કામનો ?]
[ભર્તુહરિનું આ કથન છેઃ દાન, ભોગ અને નાશ એ ત્રણ માર્ગે જ ધન જઈ શકે છે. જે માણસ દાન ન આપે કે ઉપભોગ ન કરે તેનું ધન ત્રીજા માર્ગે જાય છે એટલે કે નાશ પામે છે.]
[દુર્જન માણસ પાસે વિદ્યા ને જ્ઞાનનો ભંડાર હોય તો પણ તેનાથી દૂર રહેવું. નાગની ફેણ પર મણિ હોય એટલે તે કંઈ ઓછો ભયંકર થઈ જતો નથી.]
[દુર્જન માણસ મીઠી મીઠી વાત કરે એટલે તેનાપર ભરોસો મૂકી ન દેવાય કેમકે તેની જીભ પર ભલે મધ પાથરેલું હોય પણ તેના દિલમાં નકરું ઝેર જ ભરેલું હોય છે.]
[દુર્જન અને સર્પ એ બન્નેમાં સર્પ વધુ સારો કેમકે સર્પ તો ક્યારેક દંશ આપે પણ દુર્જન ડગલે પગલે ડંખ્યા જ કરે.]
[દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય. કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને ઠંડો થાય તો હાથ કાળા કરે.]
[દુબળા માણસનું બળ રાજા છે. બાળકોનું બળ રૂદન છે. મુર્ખ માણસનું બળ મૌન છે અને જુઠાણું ચોરનું બળ છે.]
[આદર્શ રાજાની પાંચ ફરજ છે. દુષ્ટ માણસોને દંડ આપવો, પોતાના માણસોની કદર કરવી, ન્યાયપૂર્વક રાજકોષને વધુ સમૃદ્ધ બનાવવો, નિષ્પક્ષપાત વહિવટ ચલાવવો અને પોતાના રાજ્યનું રક્ષણ કરવું.]
[પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, નોકર સામું મોઢે સંભળાવનારો હોય અને સાપવાળા ઘરમાં રાત રહેવાનું હોય તો આપણો ઘડોલાડવો થઈ જ જવાનો એ વાત સો ટકા સાચી માનજો.]
[ડુંગર દૂરથી રળીયામણા લાગે. વારાંગનાનું મુખ આઘેથી સારું દેખાય. લડાઈની વાતો ફક્ત સાંભળવામાં સારી લાગે. આ ત્રણેય આઘા સારા બાકી તેમનો અનુભવ લેવા જઈએ તો ખોખરા થઈ જઈએ.]
[ચાણક્યે સરળ ભાષામાં કહેલું સનાતન સત્યઃ જેનું સ્થાન આપણાં હૈયામાં અવિચળ હોય તે ભલે ગમે તેટલો દૂર હોય પણ તે કદી દૂર હોતો નથી. જેને માટે આપણા હૈયામાં કોઈ સ્થાન નથી તે ભલે આપણી સામે ઊભો હોય પણ તે દૂરનો દૂર જ રહે છે.]
[આ પણ ચાણક્યનો ઉપદેશ છેઃ જીવનમાં દરેક પગલું જોઈ જોઈને મૂકવું. પાણી પીવું હોય તો ગાળીને પીવું. જે કંઈ બોલીએ તે સાચું છે કે નહિ તેનો વિચાર કરીને બોલવું અને જીવનમાં જે કંઈ કામ કરીએ તે આપણા મનને પૂછીને કરવા કે હું જે કંઈ કરું છું તે બરાબર છે કે નહિ.] ધ
[ધનધાન્ય ભેગા કરવામાં, વિદ્યાપ્રાપ્તિમાં, જમવામાં અને વ્યાવહારિક બાબતોમાં જે માણસ ખોટી શરમ છોડી દે તે સુખી થાય.]
[જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે.]
[જે માણસ પોતાના કાર્યના લીધે નહિ પણ પિતાના નામને લીધે જાણીતો બને છે તેનો જન્મ વૃથા છે.] બીજા વિભાગમાં જવા માટે નીચેની લિન્ક ક્લીક કરોઃ પ્રસાદી વિભાગ બીજો |
[ |
No comments:
Post a Comment