Tuesday, 1 March 2011

સુખદુઃખ મનમાં ન આણીએ


સુખદુઃખ મનમાં ન આણીએ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં
સુખદુઃખ મનમાં ન આણીએ

નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી;
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ

પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી
સુખદુઃખ મનમાં ન આણીએ

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી
સુખદુઃખ મનમાં ન આણીએ

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી
સુખદુઃખ મનમાં ન આણીએ

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ

શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી
સુખદુઃખ મનમાં ન આણીએ

એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે
સુખદુઃખ મનમાં ન આણીએ

સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી
સુખદુઃખ મનમાં ન આણીએ

- નરસિંહ મહેતા

No comments:

Post a Comment